ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ અથવા ઘરવિહોણા મકાન બાંધકામ માટે રહેણાંકના ૧૦૦ ચો.વારના મફત પ્લોટ આપવાની આવી યોજનામાં સુધારો કરી નવી નીતિ અમલમાં

પ્રગતિશીલ ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસની ભાવના અંતર્ગત લોકકલ્યાણકારી યોજના અમલમાં મુકવાના શુૂભ આશયથી રાજ્ય સરકાર દ્વારા હાલમાં પ્રવર્તમાન મફત પ્લોટ આપવાની નીતિમાં સુધારો કરીને ૧લી મે-૨૦૧૭ના ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં પ્લોટ અથવા ઘર વિહોણા લાભાર્થીઓને વિના મૂલ્યે ૧૦૦ ચો.વારનો ઘરથાળનો પ્લોટ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે.

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં પ્લોટ અથવા ઘર વિહોણા બીપીએલમાં નોંધાયેલ ખેત મજૂરો તેમજ ગ્રામ્ય કારીગરોને ૧૦૦ ચો.વારનો વિના મૂલ્યે પ્લોટ આપવાની યોજના અમલમાં હતી. આ યોજનાં અંતર્ગત રાજ્ય સરકાર ૦ થી ૧૬ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા તમામ મળવાપાત્ર પ્લોટ વિહોણા લાભાર્થીઓને મફત પ્લોટ યોજના અંતર્ગત ૧૬,૯૭,૦૩૦ લાભાર્થીઓને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં મફત પ્લોટો ફાળવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત કેટલીક જોગવાઈઓને કારણે ગ્રામ્ય વિસ્તારનાં પ્લોટ અથવા ઘર વિહોણા જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મળી શકતો ન હતો. જેમકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હોય પરંતુ પોતાનો માલિકીનો પ્લોટ ન હોવાને કારણે અથવા તો બીપીએલમાં યાદીમાં નામ ન હોવાના કારણે પ્લોટ ફાળવી શકાતો ન હતો જેને કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી શક્તો નથી. 

પરિણામે ગ્રામ્ય વિસ્તારનાં પ્લોટ અથવા ઘર વિહોણા જરૂરીયાતમંદ લાભાર્થીઓ દ્વારા તેમની રજૂઆતો સરકારમાં મળતી હોવાનાં કારણે રાજ્ય સરકાર દ્વારા અમલી હાલની નીતિમાં સુધારા કરવાનું આવશ્યક જણાતા યોગ્ય સુધારાઓ કરી ગ્રામ્ય વિસ્તારના પાત્રતા ધરાવતા લોકોને સરળતાથી પ્લોટ ઉપલબ્ધ થઈ શકે તે માટે રાજ્ય સરકારે તા.૧-૫-૨૦૧૭ના ઠરાવથી નવી નીતિ અમલી બનાવી છે.
નવી નીતિ મુજબ કુટુંબની વ્યાખ્યામાં પુખ્તવયનો વ્યકિત, તેના પતિ-પત્ની (જો હોય તો), તેના સગીર બાળકોને પણ લાભ મળી શકશે. ગ્રામ વિસ્તારની વ્યાખ્યામાં વિસ્તાર વિકાસ સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળનાં વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ નથી જે અગાઉ કરવામાં આવેલ હતો. બીપીએલ યાદી હેઠળ નોંધાયેલ હોય તે જોગવાઈ રદ કરવામાં આવેલ છે.

 તે બદલે એસઈસીસી હેઠળ પાત્રતા ધરાવતા અથવા રાજ્ય કે કેન્દ્રની હાઉસીંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય. ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતાં હોવા જોઈએ. ખાસ કિસ્સામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અડચણરૂપ ન હોય તેવું દબાણ ૧૦૦ ચો.વારની મર્યાદામાં નિયમીત કરવાની જોગવાઈ કરવામાં આવી છે અને ખાનગી જમીન સંપાદન માટે ગ્રામપંચાયત દીઠ ૧૦ લાખની મર્યાદા હતી. 

આ મર્યાદા નાબુદ કરવામાં આવી છે. આ ઉપરાંત જમીન વિકાસ અંગે પ્લોટ દીઠ રૂા.૧૫૦નો વિકાસ ખર્ચ આપવામાં આવતો હતો તેના બદલે હવે જમીન વિકાસ અંગે પ્લોટ દીઠ રૂા.૧,૦૦૦નો વિકાસ ખર્ચ આપવામાં આવશે. એક સાથે જમીન સમથળ કરવા હેકટર દીઠ રૂા.૫૦ હજારની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય આપશે. આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં પાત્રતા ધરાવતા લાભાર્થી પરંતુ જેમની પાસે જમીન/પ્લોટ વિહોણા ૨૧,૫૭૪ લાભાર્થીઓને લાભ મળશે.

Comments

Popular posts from this blog

લગ્નમાં સાવ સામાન્ય કારણથી થઈ બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં